સોમવાર, 31 ઑગસ્ટ, 2009

રજકણ (3)







પરાજયથી તો હું ભટકતો નથી
નાના નાના વિજય જોઇને ગભરાટ છૂટે છે
એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને ,
પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે,
હું એવો તો નહિ બની જાઉં ને ?




એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો .
મેં કહ્યું કે મીઠી જબાનવાળા,
વિવેકી મનુષ્યોનો તમને
કદાચ પરિચય નથી .




હું ગાંડો છું ? હું ઉદ્ર્ત છું ?
ના, વધારે સ્પષ્ટ છું .
એમાં કુનેહ નહિ હોય ,
પણ સિદ્ધાંતવાદી વળી,
કુનેહના રમકડાથી રમે ખરો ?





જે મજા સંગ્રામમાં છે
તે મજા ખોઈને મુર્ખાઓ વિજય વાંછે છે !
વાંછવા દો.
વિજયના જેવો મહાન પરાજય જોઇને
કોણ નથી પસ્તાયું ?


ધૂમકેતુ (રજકણ માંથી )




રવિવાર, 30 ઑગસ્ટ, 2009

રજકણ (૨)




પાનખરની ઋતુ જોઇને વૃદ્ધાવસ્થા યાદ આવી
પણ આ શું ?
વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે
સુંદર પ્રભાતનાં રંગ જેવી ,
કુમળા પાનની ટીશી ક્યાંથી ?



તમે કલાની વાત કરો છો કાં ?
હા, હા, સમજ્યો .
એવી વસ્તુ,
જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે :
અને પ્રદર્શન માં જોવા જાય છે ."
એ જ કલા ને ?


જાગૃતિની એક પળ માંગી હતી;
નિંદ્રાધીન જીવનના હજારો વર્ષ નહિ "



માણસ પોતાની જાત ઘસ્યા વિના
જે કાંઈ કરે
દાન, દયા કે સહાય
એ સઘળું વિલાસના પડછાયા જેવું છે .


ધૂમકેતુ (રજકણ માંથી )

રજકણ (૧)



ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ "



એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી "



નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું "



હું નિરાશ થયો છું ?
પરાજય થી હાંફી ગયો છું ?
ના,ના, એવું કાઈ જ નથી .
વિશ્વાસના સમુદ્રમાં પડેલું ,
ઝેરનું એક બિંદુ ધોવા માટે ,
આટલી જેહમત ઉઠાવી રહ્યો છું ."

ધૂમકેતુ (રજકણ માંથી )

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

લેખાકો અને તખલ્લુસ(ઉપનામ)



















1. રમણભાઈ નીલકંઠ - ------------------------'મકરંદ'
2. ત્રિભુવનદાસ લુહાર ------------------------ 'સુન્દરમ' ,'ત્રિશુલ'
3. મનુભાઈ પંચોળી - -------------------------' દર્શક'
4. લાભશંકર ઠાકર - --------------------------'લઘરો'
5. નટવરલાલ પંડ્યા ------------------------- 'ઉશનસ'
6. કનૈયાલાલ મુનશી ------------------------- 'ઘનશ્યામ '
7. હર્ષદ ત્રિવેદી - -----------------------------'પ્રાસન્નેય '
8. ભાનુશંકર વ્યાસ --------------------------- 'બાદરાયણ'
9. ગૌરીશંકર જોશી --------------------------- 'ધૂમકેતુ '
10. બાલશંકર કંથારિયા ------------------------'કલાન્ત ', ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી - ---------------------'બેફામ '
12. ઉમાશંકર જોશી - --------------------------' વાસુકી '
13. રામનારાયણ પાઠક ------------------------' શેષ' , ’સ્વૈરવિહાર'
14. સુરસિંહજી ગોહિલ --------------------------' કલાપી'
15. કેશવલાલ હ. ધ્રુવ - ------------------------' વનમાળી '
16. મણિશંકર રત્નજી ભટ્ટ - ---------------------''કાન્ત'
17. બાલારામ દેસાઈ - ------------------------'જયભિખ્ખુ '
18. મધુસુદન પારેખ - ------------------------'પ્રિયદર્શી '
19. અક્ષયદાસ સોની - ------------------------'અખો'
20. લાલજીભાઈ સુથાર ----------------------- ' નિષ્કુળાનંદ'
21. લાડુભાઈ બારોટ ------------------------- ' બ્રહ્માનંદ '
22. બંસીલાલ વર્મા - ------------------------- ' ચકોર'
23. જીણાભાઇ દેસાઈ - ------------------------' સ્નેહરશ્મિ '
24. છોટાલાલ શાસ્ત્રી --------------------------' છોટમ'
25. દયાશંકર પંડ્યા -------------------------- 'દયારામ '
26. સચ્ચિદાનંદ વાત્સાયન -------------------- ' અજ્ઞેય '
27. દત્તાત્રેય કાલેલકર ------------------------ ' કાકાસાહેબ '
28. કિશનસિંહ ચાવડા ------------------------ ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ - ---------------------' પતીલ'
30. લાભશંકર ઠાકર - -------------------------' પુનર્વસુ '
31. બાલાશંકર કંથારિયા ---------------------- ' બાલ'
32. જમનાશંકર મ.બુચ ----------------------- ' લલિત'
33. હરાજી લવજી દામજી --------------------- ’ શયદા '
34. મોહનલાલ મહેતા - ----------------------' સોપાન'
35. ભોગીલાલ ગાંધી - -----------------------’ ઉપવાસી '
36. બકુલ ત્રિપાઠી --------------------------- ' ઠોઠ નિશાળીયો '
37. રામનારાયણ વી.પાઠક ------------------- ' દ્રીરેફ '
38. સૂર્યકાંત ત્રિપાઠી ------------------------- ' નિરાલા'
39. નાથાલાલ કવિ --------------------------' પ્રેમભક્તિ '
40. ઈબ્રાહીમ દા. પટેલ ---------------------- ' બેકાર '
41. દેવેન્દ્ર ઓઝા --------------------------- ' વનમાળી વાંકો '
42. કરસનદાસ માણેક ---------------------- ' વૈશંપાયન '
43. અલીખાન બલોચ -----------------------' શૂન્ય '
44. અનંતરાય રાવળ ----------------------- ' શૌનિક '
45. બ.ક.ઠાકર - ----------------------------' સેહેની '
46. અબ્બાસ મ. વાસી - ---------------------' મરીઝ '
47. અરદેશર ખબરદાર - --------------------' અદલ'
48. ચંદ્રવદન સી .મહેતા - -------------------'ચાંદામામા '
49. મધુસુદન વ.ઠાકર - ---------------------'મધુરાય'

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

પૃથ્વી એટલે 'ઉકરડો '



એક જૂની કહેવત છે : 'ગામ હોય ત્યાં ઉકરડો હોય જ ' પરંતુ પર્યાવરણ ની ' વાટ લગાવવામાં ' માં આ ઉકરડાનો પણ ઘણો ફાળો છે .પ્લાસ્ટિક જેવો નોનરિસાઇક્લેબલ પ્રદાર્થોમાંથી નીપજતા કચરા છેવટે પર્યાવરણ માટે જોખમી બને છે .પરંતુ એવી કોઈ શોધ થઇ શકે ખરી કે કચરાનો કન્સેપ્ટ જ નાબુદ થઇ જાય ? બ્રિટીશ સંશોધકોએ તેમના દેશને ' ઝીરો વેસ્ટ કન્ટ્રી ' પ્રસ્તાવ મુક્યો છે ! તેમાટે ગરમાગરમ ભજિયું બની જતી પૃથ્વી માટે સ્માર્ટ બિલ્ડીંગો બનાવવી પડશે . આ સ્માર્ટ બિલ્ડીંગો સંપૂર્ણપણે વાયરલેસ હશે .જે કઈ ઉર્જા ની જરૂર પડે તે પોતાની મેળે જ પેદા કરી લેશે .તેના માટે તે સૂર્ય ,પવન કે ભૂ-ગરમી જેવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરશે .દિવસભર તેના પર પડતા સૂર્યપ્રકાશ ને ' લાઈટ પાઈપ્સ ' મારફતે સંગ્રહ કરીને રાત્રે પણ અજવાળું ફેલાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે ,એટલું જ નહિ તેમાંથી ઉત્પન્ન થતો કચરો તે ખુદ ખાઈ જશે !

આ સંથાનું કહેવું છે કે વખતોવખત ' હિત વેવ ' નો અનુભવ કરતા બ્રિટનમાં આજની તારીખ થી ગ્રીન હાઉસ ગેસ ની ઉત્પાદન સાવ બંધ થઇ જાય તો પણ આવતા ત્રીસ વર્ષો સુધી તેનું તાપમાન વધતું રહેશે .દિવસે દિવસે ' યુઝ એન્ડ થ્રો ' કમ્યુનીટી બનતા જતા અંગ્રેજો વર્ષે દહાડે ત્રીસ કરોડ તન જેટલો કચરો પેદા કરે છે .

જેમાંથી માંડ માંડ અડધો પણ રીસાઈકલ થતો નથી ! તે જોઇને .ડેન્માર્ક ,સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો એ નોન- રીસાઈકલ ચીજો પર વધુ વેરા નાખ્યા છે ! ૨૦૦૩ ના હીટવેવમાં આખા યુરોપમાં ૩૦ હજાર થી પણ વધુ લોકો નો ભોગ લેવાયો પૃથ્વી નું તાપમાન વધતું અટકાવા અને તેને આવનારી પેઢીઓ માટે રેહવા લાયક રેહવા દેવી હોય તો ' ક્યોટો પ્રોટોકોલ 'જેવી સંધિઓ નો ચુસ્તપણે અમલ કરવો પડશે ,એટલું જ નહિ આપણી લાઈફસ્ટાઈલ માં પણ યોગ્ય પરિવર્તન આણવા પડશે ,

==જીવાત્મા અને પરમાત્મા ==




આ જીવાત્મા ઈશ્વરનો એક અંશ છે .અને તે ચેતન છે .જળ નથી .તે નિર્મળ છે એટલે કે મળ - દોષથી રહિત છે .શુદ્ધ છે અને આનંદિત છે .ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે .હું અને મારું ,તું અને તારું એનું જ નામ માયા છે અને માયા નો પ્રેરક ઈશ્વર છે .આ જીવ માયાને વશીભૂત થયેલો છે .ઈશ્વર અંશી છે અને જીવ તેનો અંશ છે .એટલે જેવી અંશી તેવો અંશ એટલે આ દેહમાં રહેલો જીવ અવિનાશી ,નિત્ય અને સનાતન છે .મનુષ્ય મરણ પામે છે ત્યારે જીવ સ્થૂળ શરીર છોડી તેના કર્મફળ પ્રમાણે બીજા સ્થૂળ શરીર ને પકડી લે છે .


જો ભગવાન ઈશ્વર છે તો પ્રકૃતિ ઈશ્વરી શક્તિ છે .ભગવાન આપણા પિતા છે તો પ્રકૃતિ આપની માતા છે .ભગવાન બીજ ને વાવનાર છે તો પ્રકૃતિ ગર્ભ ને ધારણ કરનારી છે .પ્રકૃતિ સોંનું ઉત્પતિ સ્થાન છે અને તેથી સંસાર ની ઉત્પતિ થાય છે .પ્રકૃતિ એજ માયા છે.ઈશ્વર (પરમાત્મા ) અને પ્રકૃતિ નો સંબંધ નર- નારી જેવો છે .પ્રકૃતિ ઈશ્વર ની શક્તિ છે .જેવી કે વિષ્ણુ અને લક્ષ્મી ,શિવ અને પાર્વતી ,બ્રહ્મા અને સરસ્વતી ,રામ અને સીતા વિગેરે , વિગેરે ...


ચોર્યાશી લાખ યોનીઓનો ગીતમાં પણ ઉલ્લેખ છે .ચોર્યાશી યોનીઓના ચાર પ્રકાર છે .જરાયુજ, અંડજ,
ઉદભિજ્જ્,અને સ્વેદજ,આપણે તેમના એક જીવ છીએ અને આપણા કર્મફળ પ્રમાણે ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરતા કરતા મનુષ્ય યોનીમાં ભગવાન ની કૃપાથી આવ્યા છીએ .પરમાત્મા બધા જ પ્રાણીઓના હૃદય માં છે .પોતાની માયા દ્વારા તેના કર્મ પ્રમાણે ઘુમાવે છે .છેવટે ભગવાને આપણને મનુષ્ય દેહ આપી આ 'જીવન મુક્તિ ' કરવાનો અવસર આપ્યો છે.જેનો આપને બની શકે તેટલો વહેલો લાભ ઉઠાવી મુક્તિ (મોક્ષ ) મેળવવાનો છે .નહીતર લાખ ચોર્યાશીનું ચક્કર આપણા માટે તૈયાર જ છે .


એક ભક્ત કવિ કહે છે
"મારો હંસલો નાનો અને દેવળ જુનું થયું રે
હંસા તારે અને મારે પ્રીત્યું બંધાણી."

=એક આત્મનિષ્ઠ સંત
ધનજીભાઈ કે. પટેલ . (કમાણાકર )




Comment Me Comments

I.S.O 9000:2001(QMS) શું છે ?



I.S.O - International Organization for Standardization (I.S.O) ને સામાન્ય રીતે I.S.O તરીકે ઓળખવામાં આવે છે જે જીનોવા ,સ્વીત્ઝર્લેન્ડમાં આવેલી આંતરરાષ્ટીય સંસ્થા છે .જેમાં દુનિયાના ૨૦૦ થી વધુ દેશો સભ્ય તરીકે જોડાયેલા છે .જે યોગ્ય સંસ્થા ને દુનિયાની અન્ય સંસ્થાઓથી વિશિષ્ટતાના આધારે અલગ (Isolate) તારી આપે છે

I.S.O નો મુખ્ય હેતુ કોઈ શેક્ષણિક સંસ્થા માટે તેના દરેક કાર્ય ને યોગ્ય માનક (Standard) મુજબની પધ્ધતિ નક્કી કરી અમલમાં મુકે તેના દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ સંતોષ મેળવવાનો અને શેક્ષણિક પદ્ધતિઓમાં સતત સુધારા કરવાનો છે
સંસ્થા જુદા જુદા હજારો માનક (Standard) બહાર પડવાનું કામ કરે છે .


ઉદાહરણ તરીકે I.S.O 9000:2001(Q MS - Quality Management System ) ,
I.S.O 14000: 2004(EMS - Environment Management System )
I.S.O 22000: 2005 (FSMS - Food Safety Management System )
I.S.O 27000: 2005 (ISMS - Information Security Management System ).......વિગેરે




અહી I.S.O ૯૦૦૧ નબર એ ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (QMS)નામના માનક (Standard) માટે ઉપયોગમાં લેવામાં આવે છે તથા આ માનક (Standard) માં ઈ.સ ૨૦૦૦ બાદ નવા સુધારા થયેલા હોવાથી તેને ૯૦૦૧ - ૨૦૦૦ (QMS) તરીકે ઓળખવામાં આવે છે અહી જરૂરી નથી કે સંસ્થા પોતે કોઈ ઉત્પાદન (Production )માં સંકળાયેલી હોય જ કોઈપણ સંસ્થામાં સંચાલન()જરૂરી છે





Comment Me Comments

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

**પ્રેમ**
















પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર અને તાજા પ્રેમ ની જરૂર છે .વાસ્તવ માં દુનિયા ને ચોકસાઈપૂર્વકની અને સાચી સમાજની જરૂર છે .સાચો પ્રેમ સમજ ઉપર અરસપરસ ના વિશ્વાસ ઉપર અને માં ઉપર આધાર રાખે છે .માત્ર લાગણીઓ ઉપરજ નહી.પ્રેમ સર્વત્ર સમાન હોય છે .પોતાની સાથે ,ઈશ્વર સાથે કે આપણા સાથીદાર સાથેનો સુમેળ એ જ પ્રેમ ,પ્રેમ એક નિસ્વાર્થતા છે.પ્રેમ ભાવનાશીલ સ્થિતિ નથી ,કે જે કલ્પનાઓ અને તરંગો ને મર્યાદા માં રાખે છે ,પરંતુ જ્ઞાન ની ઉચ્ચ સમાનતા ની સ્થિતિ છે જે જે શારીરિક રૂપરેખાથી ઉચ્ચ જાય છે .પ્રેમ ને શરીર સાથે કોઈ જ સંબંધ નથી .પ્રેમ આત્મા માં જીવે છે .આ પ્રેમ આપણ ને આજુબાજુ પથરાવા દેવો જોઈએ .આપણે જયારે આ પ્રેમ વહાવા દઈએ ત્યારે આપણે ભીંજાઈ જઈને સદાને માટે તાજા ,આકર્ષક અને તંદુરસ્ત રહીએ છીએ.
પ્રેમ વિના જીવનનો સર્વ ખજાનો આપણી દ્રષ્ટી અને અનુભવ થી દુર દુર બંધ અવસ્થા માં રહેલો છે .એના માટે પ્રેમ ચાવી સમાન છે ,

==એક પ્રેમાળ દિવસ માટે નાં વિચારો==
**મંગળવાર **

(૧) જો કોઈ તમારી સાથે ગુસ્સામાં બોલે તો તે ગુસ્સારુપી અગ્નિ ઉપર તમો પ્રેમ નું શીતળ પાણી રેડો

(૨) જ્યારે દ્વેષ કે ઈર્ષાનાં નાં સંકલ્પો પેદા થાય છે .ત્યારે સુખ ગુમાવાય છે .શુંભભાવના અને પ્રેમના સંકલ્પો દિલગીરીમાંથી મુક્ત કરે છે

(૩) તમારા પોતાના સ્વભાવ સિવાય કોઈ તમને રીબવતું નથી. તમારો સ્વભાવ મધુર અને પ્રેમાળ બનાવો .

(૪) જેના માટે એક પૈસા નું પણ ખર્ચ નથી એવા પ્રેમાળ ,સત્ય અને મધુર શબ્દો બોલો .

(૫) જો તમો એકલા છો તો તમારી કોઈ કિંમત નથી .પરંતુ તમારી સાથે પ્રેમ,મધુરતા અને સહકાર ની ભાવના છે ,તો તમે કિંમતી છો

(૬) પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાક લોકોના દુ:ખી હૃદય શીતળ બનાવી શકે છે

(૭) જ્યારે દરેક વ્યક્તિ પોતાને પોતાના કરતા વધારે સારો માનતો હોય તો ત્યારે શું રાષ્ટીય એકતા શક્ય છે ?

(૮) પરમાત્મા ને પાપીઓ પ્રત્યે પણ પ્રેમ છે .દરેક મનુષ્ય ઈશ્વરીય સંતાન છે .તો કોઈ પણ ઈશ્વરીય સંતાન ને ધીક્કારવાનો આપણને
કયો અધિકાર ?

(૯) જેટલો વધારે પ્રેમ કરશો એટલો વધારે પ્રેમ મળશે .ઘણો વધારે પ્રેમ હશે તો આપવામાં સરળ બનશે ,

(૧૦) જયારે એક વ્યક્તિ ઝગડવાનું ઇચ્છતી નથી તો બે વચ્ચે નો ઝગડો શક્ય નથી .

(૧૧) ઈર્ષા જ્યારે પોતાનું માથું ઉચકે છે ,ત્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ દુશ્મન બની શકે છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

==પ્રસન્નતા ==















પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી .
જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન શાંત ,નીરવ, સંકલ્પો અંદર ની તરફ વળે.શાંતિ ના તરંગો ધ્યાન પૂર્વક સંભળાય છે ,ત્યારબાદ સંકલ્પો ઉપરામ થાય છે .તત્વો થી પાર આધ્યાત્મિક સુરબદ્ધ શાંતિ થી ભરપુર ,પવિત્ર થોડા વિચારો ,મારા પિતા સાથે જોડાણ જે પરમાનંદ છે .જે શાંતિ નાં સાગર હોવાથી શાંતિ નો અનુભવ થાય છે પ્રેમ નો સાગર હોવાને લીધે પ્રેમનો અનુભવ થઇ રહ્યો છે આંનદ ના સાગર હોવાથી આનંદ અનુભવ થઇ રહ્યો છે,

==પરમ આનંદી દિવસ નાં વિચારો ==
**``રવિવાર **``

(૧) જે સંતુષ્ટ છે ,તે બેંક માં નાનકડું ખાતું હોવા છતાં પોતાની પાસે મોટો ખજાનો સમજે છે

(૨) સ્વતંત્રતા માનસમાંથી પ્રગટ થાય છે ,નહિ કે દોરડા કાપવાથી .

(૩) ઉમંગ આત્માને ઉચ્ચ અવસ્થામાં રાખે છે અને બીજા નાં હોઠ ઉપર હાસ્ય વેરે છે .

(૪)મંદ હાસ્ય કોઈપણ મુશ્કેલીનું કાર્ય ટૂંકું બનાવે છે .

(૫) વ્યર્થ કામ તમને ભારે તેમજ થાકેલા બનાવશે અને રચનાત્મક કાર્ય તમને સુખ ,તેજસ્વીતા અને નવી ચેતના આપશે

(૬)સંતુષ્ટતા અને આનંદ એક બીજા નાં સાથી છે ,આ ગુણો તમારા માટે બીજાની વચ્ચે આકર્ષણ ઉપજાવે છે .

(૭) જો ગઈકાલે થયેલી ભૂલ દ્વારા ગમગીનીમાં વિતાવી હોય તો આજનો દિવસ ગઈકાલ ને યાદ કરીને ગુમાવશો નહિ .

(૮) જેટલો આનંદ તમે પરિશ્રમ કરવામાં રાખશો તેના કરતા વધારે સુખ પરિશ્રમના પરિણામ મેળવવામાં થશે

(૯) જ્યારે તમે હર્ષિતમુખ રહો છો ત્યારે માત્ર તમેજ સુખનો અનુભવ નથી કરતા પરંતુ સાથે સાથે બીજાની ચેતનામાં પ્રકાશ નાં કિરણો પૂરો છો

(૧૦) જ્યારે મનુષ્ય મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો આનંદ અને હાસ્ય સાથે કરે છે ,ત્યારે જ મહાન જાહેર થાય છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==


શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

જય ...જય.....ગરવી ગુજરાત


અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ

આવો માધવ રામાનુજ સાહેબ ના સાનિધ્ય મા



માળામાં ફરક્યું વેરાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

- માધવ રામાનુજ




એક એવું ઘર મળે.....


એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.

એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!

એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!

તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…

- માધવ રામાનુજ

પાસપાસે તોયે.........

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

- માધવ રામાનુજ

નીતિન વડગામા....તરફ થી

છોડી દે........

એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.

છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.

- નીતિન વડગામા

કોઇ આવીને ઊભું છે આંગણામાં .......

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

- નીતિન વડગામા

રમેશમાં.....

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.

ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.

આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.

ફરતું હશે કોઇક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.

ઇશ્વર, આ તારી પીળી બુલંદીની શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.

: રમેશ પારેખ.

હાઇકુ :

આવ લગીર
બેસ , પતંગિયાના
પડછાયામાં.

અંગત વાતો
ભીતરની, સાંભળે
કોઇની આંખ.

સપને મળો
તો નહીં વગોવાય
પ્રેમ આપણો.

: પન્ના નાયક.

જોઇએ...ઘાયલ સાહેબ

છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ
રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ

કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા
એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ

વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે
વશમા રહે નહીતો પછી દમવી જોઇએ

ઉષ્માજ ક્યાં રહી છે હવે આવકારમાં
આલીંગનોની ભૂખ હવે શમવી જોઇએ

કાંટાળા પથ પર નો પડે ચીરા પણ પડે
પીડા જો થાય છે તો હવે ખમવી જોઇએ

ધાર્યું નિશાન અન્યથા તાકી શકાય ના,
ધાર્યા નિશાનમાંજ નજર ભમવી જોઇએ.

ખીલી ઉઠે ન સીમ તો ‘ઘાયલ’ એ સાંજનું,
પ્રત્યેક સાંજ રંગ સભર નમવી જોઇએ.

આજે....ઘાયલ સાહેબ

ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે,
ભટકું છું લાગણીની દુનિયા બહાર આજે.

પાછો ડૂબી રહ્યો છું કર બેડો પાર આજે,
કાયમ ઉગારનારા આવી ઉગાર આજે.

સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા વધી છે,
છૂપો વિકાસમાં છે કેવળ વિકાર આજે.

બોલી અમે બધાને તક આપી બોલવાની,
દુનિયા કરી રહી છે વાતો હજાર આજે.

અફસોસ અંજુમન આ હોવા છતાંય ઘરની,
થાતા નથી ઠરાવો મારા પસાર આજે.

બદનામીમાં છૂપી છે લિજ્જતશી રામ જાણે,
બદનામ થઇ જીવે છે કંઇ નામદાર આજે.

શ્રોતા તો શ્રોતા ‘ઘાયલ’ તારી ગઝલ સુણીને,
તડપી ગયા સભામાં સાહિત્યકાર આજે.

ક્યાં છે..ઘાયલ સાહેબ

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,
જીવનમાં જીવવા જેવુ કંઇ તારા વગર ક્યાં છે ?

ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે,
કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?

હવે તો છે બધું સરખું કો માળો હોય કે પીંજર,
હતા બે ચાર ‘પર’ તૂટેલ એ બેચાર ‘પર’ ક્યાં છે ?

અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના,
મળી છે લાખ પ્યાલી પણ કોઇ મસ્તીસભર ક્યાં છે ?

સમજ પણ એ જ છે મુજમાં નજર પણ એજ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે ?

નયનનાં તીરના ઝખ્મો કરી બેઠાં છે ઘર એમાં,
હવે દિલ મારું દિલ ક્યાં છે, જિગર મારું જિગર ક્યાં છે ?

તને છે રૂપની મસ્તી મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે ?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ “ઘાયલ”,
યદિ છે તો જગતમાં કોઇને એની કદર ક્યાં છે ?

ઘાયલ સાહેબ

બહેન મારી .......
















લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વળી, જાંબલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં!

સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં,
નાના નાના ઘૂઘરા ઝીણા,

એવી બે ઝાંઝરીઓ લઉં,
બહેન મારીને પહેરવા દઉં!

ચંપા બકુલ, બોરસલી ફૂલ,
માલતી ને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું લાવી દઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બેની,
ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે….!
બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,
ભાઇને સાથે લાવજો રે…..!

-સોમાભાઇ ભાવસાર

ડૉ. વિવેક મનહર ટેલર `` શબ્દ`

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

- ડૉ. વિવેક મનહર ટેલર

છૂટ છે તને,














અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- ડૉ. વિવેક મનહર ટેલર

નદી મળશે - આદિલ મન્સૂરી

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

- આદિલ મન્સૂરી

કોને જોઇએ છે......

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

વિશાલ મોણપરા

સબંધ રાખો

જુની ચર્ચાઓ બધી બંધ રાખો.
આટલા સબંધો હવે અકબંધ રાખો.

સ્વાર્થ ને મૂકો બાજુ માં ઘડી,
બસ લાગણીસભર સબંધ રાખો.

હુ ખભો રાખુ’ને તમે માથુ ટેકવો,
કાં,હુ માથુ ટેકવુ ને તમે સ્કંધ રાખો.

કરવાજ હોય જો તમારે દર્શન મારા,
ચિત્ત શાંત રાખો,આંખ બંધ રાખો

‘ઈશ્ક’પાલનપુરી

ગઝલ..‘ઇશ્ક’પાલનપુરી

ફીણ,રૂ,અને રેશમની આંટીથી યે સુવાળી ગઝલ.
ચાંદ , ચાદની અને ફૂલથી યે રુપાળી ગઝલ.

વાંચો તો દિલમાં વેદના ઉઝરડા કરી જાય,
જીંદગી ભર કણસ્યા કરે એવી કાંટાળી ગઝલ.

કદીક ગઝલ વૃક્ષ નીચેનો વિસામાનો ઓટલો,
ક્યારેક બે ખેતર વચ્ચેની પાળી ગઝલ.

ભટક્યો છું આમ તો હુ ઘણો ગઝલની શોધમાં,
મોસમી સાંજે એની આંખોમાં મે ભાળી ગઝલ.

એકાંતમાં સંભારણુ બની અચાનક સાંભરી આવે,
જાણે રસ્તામાં આપેલ કોઇકે હાથતાળી ગઝલ.

પાનખર,રણ,ધૂળ’ને ઝાંઝવા બધુય આવે,
છતાંય ધરાથી યે વધુ હરીયાળી ગઝલ.

ઘણાયે ગઝલને સુરા ગણી પી જાય છે,
અમે તો જામમાં બરફની જેમ ઘોળી ગઝલ.

ક્યાંય કશુ વધારાનુ આલેખ્યુ છે અમે,
‘ઈશ્ક’અમેતો ગઝલ વિશે સાંભળી ગઝલ.

‘ઇશ્ક’પાલનપુરી

ટહુકો બની ને આવજે.

મારા કવન માં તુ શ્બ્દો બની ને આવજે.
ભૂલો પડુ તો તુ સનમ રસ્તો બની ને આવજે.

બની શકે તો આવજે તુ ખુશી બની ને,
ના બની શકે તો દિલમાં તુ દર્દો બની ને આવજે.

વાદળોની સાથે સાથે બેચેની ઘેરી વળે છે મને,
અષાઢ તે માસ માં તુ ઢેલનો ટહુકો બની ને આવજે.

અવતરજે મારી જીંદગીમાં તુ છાંયડો બની ને,
વળી હુંફ આપવાને તુ તડકો બનીને આવજે.

દિવાળી ની રંગોળી બની રંગો પુરજે મુજ જીવનમાં.
રંગવાને હોળીએ ‘ઈશ્ક’ને તુ કેસુડો બની ને આવજે.

– ‘ઈશ્ક’પાલનપુરી

‘મારુ નામ ચીતરે છે’

જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે.
માસુમ દિલને અચાનક એ સાંભરે છે.

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

શોધો નહિ એને તમે મારી ગઝલ માં,
વ્યર્થ છે પ્રયસો,એતો દિલની ભીતરે છે.

શક્ય ક્યાંથી બને રુપાળુ મિલન અમારુ,
એક બિચારુ મઝધારે,બીજુ કિનારે છે.

ફૂટે છે કૂપળો,વ્રુક્ષો ને જ્યારે હસે છે,
ખરી પડે છે પર્ણૉ,જ્યારે એ ડૂસકાં ભરે છે.

ખેવના હતી મને એના સહારે તરવાની.
‘ઈશ્ક’હવે કોઇના નામે કોઇ ક્યાં તરે છે. ?

-‘ઈશ્ક’પાલનપુરી

તો લખુ..‘ઈશ્ક’પાલનપુરી

ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ.

એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.

આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.

આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ.

જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.

‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.

[છંદઃગાલગા ગાલગા ગાલગા ગાલગા]

– ‘ઈશ્ક’પાલનપુરી

મૌન ના પડઘા

લાગણીના વેણ સૌ ઊઘી રહ્યા
મૌનના પડઘા બધે બોલી રહ્યા

થઇ ગયાં સંબંધનાં ખાલી ઘરો
ભીંત પર નકશા ફક્ત બાકી રહ્યા

પ્યાસ એવું ઘર કરી ગઇ આંખમાં
આંસુઓ હરણાં બની દોડી રહ્યા

વેદના મારી ઇશુથી કમ નથી
શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા

કોણ ચરણોને હવે રોકી શકે
ક્યાંય ના મંઝિલ છતાં ચાલી રહ્યાં.

-બકુલ રાવલ

હમેશાં હસતો રહુ છું.

ફુલોથી ભરેલા બગિચા વચ્ચે,
બની કાંટા, હમેશાં હસતો રહુ છું.

હરરોજ તોલાતી જીંદગીઓ વચ્ચે,
બની ત્રાજવુ, હમેશાં હસતો રહુ છું.

હિન્દું-મુસલીમની લડાઈ વચ્ચે,
બની નાસ્તિક, હમેશાં હસતો રહુ છું.

લોહી તરસ્યા લોકોની વચ્ચે,
બની ઝાંઝવા, હમેશાં હસતો રહુ છું.

બહુરૂપી લોકોની ભીડ વચ્ચે,
બની અરીસો, હમેશાં હસતો રહુ છું.

ચોમેર ફેલાયેલા અંધારા વચ્ચે,
બની “દીપ”, હમેશાં હસતો રહુ છું.

(ઝાંઝવા = મ્રુગજળ)

- દીપક પરમાર (”દીપ”)

મિત્ર...

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે

જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે

દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે

સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે

ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે

ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે

જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે

જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

વિશાલ મોણપરા

ભાષા નથી તો શું છે?

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સોંદર્ય થઇ ગયેલી -
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

ગઝલ , નિર્મિશ ઠાકર

એ પ્રેમ છે…













શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડો.વિવેક મનહર ટેલર

ત્યારે કહેજો .....

વાદળા સાથે મોકલ્યો છે સંદેશો, મળી જાય ત્યારે કહેજો
ચમકતી વિજળી જ્યારે મન તમારું કળી જાય ત્યારે કહેજો.

આ ચાંદ-તારા જોઈ રહ્યાં છે રાહ આપણા મિલનની
બસ આ નઠારો સૂરજ ઢળી જા ય ત્યારે કહેજો

પાંપણ પર પડ્યો છે પથરાયેલો સપનાનો કાફલો
રખેને તણાઈ જાય એ બધું, આંખ ઝળહળી જાય ત્યારે કહેજો

વસંતનું વાવેતર મેં કરી દીધું તમારા દીલમાં, મંઝીલમાં
બસ ઉદાસીની પાનખર એના દેશ વળી જાય ત્યારે કહેજો

એવી સંવેદિતા છે આપણી વચ્ચે કે આંખ મારી પલકારા તમારા
મારું આકાશ વરસે અને ત્યાં પ્રેમ પલળી જાય ત્યારે કહેજો

હું ચાહીશ તમને મન મૂકીને અનંત યુગોના અંત સુધી
તમે પણ કોઈ અદમ્ય ઝંખના મનમાં સળવળી જાય ત્યારે કહેજો


-દીનેશ ગજ્જર

તારી યાદ આવે છે

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરત્ર ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

—- ગુરજરાતી મા અનુવાદ ચેતન સચાણીયા દ્વારા

કોઈ બીમારી નથી

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’